Friday 12 January 2018

વિચારરૂપી વર્તુળો!

ત્રિ-પરિમાણીય અવકાશમાં બે વર્તુળોના કેન્દ્રો એક છે. અંદરના વર્તુળની સાપેક્ષે જુઓ તો એક વર્તુળ પર બહારની બાજુએ બહાર જતા વર્તુળો દેખાય અને બહારના વર્તુળાની સાપેક્ષે તદ્દન ઊલટું દર્શાવે. આ વર્તુળોને વિચારોની સાથે સાંકળો તો એક વર્તુળએ આપણા પોતાના વિચારો છે અને બીજું વર્તુળએ આપણા માટે જે-તે પ્રવૃત્તિ માટે લોકો શું વિચાર કરશે એ વિચારો છે. બંને વર્તુળોનું કેન્દ્ર એક છે. ક્યુ વર્તુળ કેન્દ્રથી દૂર રાખવું અને ક્યુ વર્તુળ કેન્દ્રથી નજીક રાખવું એનો આધાર તમારા પર છે. વધુને વધુ લોકો શું વિચારશે એ તમે વિચારવા લાગો તો કેન્દ્રની આસપાસ અસંખ્ય વર્તુળો બનતા જશે જેનું પરિણામ તમારા વિચારો કેન્દ્રથી તદ્દન દૂર જતા રહેશે. આનાથી સદંતર ઊલટું તમારા વિચારના અસંખ્ય વર્તુળો તમે કેન્દ્રની આસપાસ રચવા લાગો તો પણ લોકોના વિચારના વર્તુળોથી તમે તદ્દન દૂર જ છો. તેઓને તમને સ્વીકારવામાં તકલીફ પહોંચશે. માટે, તમારી નજીક તમે લોકોથી દૂર કહેવાશો. તમારા દરેક અભિગમો લોકો દ્વારા અસ્વીકાર્ય બનશે પણ તમે અંદરથી તમારી જાત સાથે ચોક્કસ મક્કમ બનશો. તેમને તમારા વિચારો પૂરવાર કરવા માટે નહિં પણ કેન્દ્રથી નજીક હોવાથી તમને તમારો અહેસાસ થતો હશે તે માટે. ચિંતાની જરૂર નથી, દરેક શરૂઆત અને પરિવર્તન શરૂઆતમાં અસ્વીકૃત હોય છે. હોય જ ને! કેન્દ્રથી નજીકના વર્તુળને અસંખ્ય વર્તુળોમાંથી પસાર થઈ તે લોકો દ્વારા ચાલી રહેલા વિચારોના વર્તુળ સુધી પહોંચવાનું છે. દરેકની પોતાના પર ભરોસો આવવાની એક ઉંમર હોય છે. હા! શરૂઆત એટલે તમારા દ્વારા તમારા જાત પર થતો ભરોસો ને અંદરનો એ અવાજ કે 'હું આ કરી શકીશ!' કેન્દ્રની નજીકનું સૌથી નાનું વર્તુળ! જો આ દ્રઢપૂર્વક બનશે તો આપણે એક લેવલ અપ છીએ. લગભગ મારી ઉંમરના બધા અહિં સુધી પહોંચી જાય છે પણ એ નથી સમજી શકતા કે લોકોના વિચારોના વર્તુળોથી તો હજુ એક જ કદમ નજીક આવ્યા છીએ એ પણ સૌથી નાનુ! કે જે મોટાભાગના લોકો જોઈ નથી શકતા. માટે, જેવો આજનો નવયુવાન કોઈ વિચાર શેર કરે તો તરત જ જવાબો મળે છે..'હોતુ હશે લ્યા કદી!..' 'ના..આવું ના કરાય આમાં ઘર પણ ના ચાલે!..' 'ના થાય લ્યા તારાથી..કશુંક જોઈને આવ્યો લાગશ..!' સમજવાનું અહિં જ છે..આપણે કેન્દ્રની નજીક જ હતા પણ એ કેન્દ્રની કિનારીએ એક વર્તુળ ગોઠવાયું..એ વાક્યોનું વર્તુળ કે જે આપણાં આત્મવિશ્વાસની ખૂબ નજીક છે..થોડાં પણ જો હવે આપણે મક્કમ નહિં રહીએ તો એ વર્તુળ ઓળઘોળ થઈ આત્મવિશ્વાસના વર્તુળને ઓવરલેપ થઈ જશે. હજુ..ઉપરના વર્તુળ આપણાં વિચારોના જ છે પણ કેન્દ્રનું વર્તુળએ લોકોના વિચારોનું છે માટે પરિણામ લોકોએ નક્કી કર્યુ છે, નિર્ણયો આપણાં છે. સ્વાભાવિક છે ધીમે-ધીમે આ વર્તુળો લોકોના વિચારો થકી પહોંચે તો આપણી પાસે કેન્દ્રના નજીકની સત્તા નથી તો ક્યાંથી પરિણામ આપણાં તરફ મળવાનું? માટે, મનથી તૂટવું, ડિપ્રેશન, એન્ક્ઝાઈટી એટેક્સ, વ્યસન, આપઘાત જેવા કેટકેટલાક મુદ્દાઓ પ્રચંડ સર કરી ગયા છે. લોકો ઉપાય શોધવામાં પડ્યા છે. આમાં તો આત્મવિશ્વાસ એ જ ઉપાય! પ્રધાનમંત્રી લ્યો કે એમ.એસ.ધોની એમના આત્મવિશ્વાસ પર જ લોકોએ વિશ્વાસ મૂક્યો છે. 'આઈ લવ માય સેલ્ફ..' 'હા! હું કરીશ..' 'હું જ જગતનો સૌથી મહાન માણસ છુ!' આ મોટીવેશનલ સેમિનારમાં વપરાતા મહત્વાના વાક્યો છે. એકદંરે બધુ એ કેન્દ્રની નજીક રહેલું વર્તુળ જ છે! જીવનના વર્તુળનો અંત નિશ્ચિત છે -- મૃત્યુ! તો પણ દરેક પળથી બનતા એ યાદો અને લોકોની વચ્ચેના વર્તુળના જીવનરૂપી પરિઘને હંમેશા જીવંત રાખવું!

હા, આ ભાઈએ સાચુ જ કહ્યુ છે!
I don't believe that life is linear. I think of it as circles - concentric circles that connect.

n               -----   Michelle Williams